ઇશાન કિશન આગામી મેચોમાં રમશે કે નહીં? રોહિતે શર્માએ સ્પષ્ટતા કરતા કહ્યું કે…
આઇપીએલ 2021ના બીજા તબક્કામાં સતત ત્રણ મેચ હાર્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે ગઈ કાલે એટલે મંગળવારે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવી પોઇન્ટ્સ ટેબલમાં પણ વાપસી કરી છે. આ જીતની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકી છે. મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં અનેક યુવા ખેલાડીઓને નીખાર્યા છે. તેમાંનો એક ખેલાડી એટલે ઇશાન કિશન. રોહિત શર્માએ ઇશાન કિશનને લઈને સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે તે ટીમમાં કમબેક કરી શકે એમ છે.
પોતાના ખરાબ પર્ફોમન્સને કારણે ઇશાન કિશન હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તેનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. જેના કારણે એને મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ 11માં જગ્યા આપવામાં આવી રહી નથી. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તે જોવા મળ્યો ન હતો. એના બદલે સૌરભ તીવારીની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.
સૌરભ તીવારીએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં 45 રન બનાવીને પુરવાર કર્યું કે, પોતાની પસંદગી યોગ્ય છે. જોકે, ઇશાન કિશન માટે હજુ પણ મુંબઇ ઇન્ડિયન્સના દરવાજા ખુલ્લા છે. ફેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ કહ્યું હતું કે, ઇશાન કિશનને બહાર રાખવો મુશ્કેલ હતો. આ એક કઠિન નિર્ણય હતો. જે ટીમ દ્વારા લેવામાં આવ્યો હતો. પરંતુ ટીમમાં એક ફેરફાર કરવાની જરૂર હતી.
ઇશાન કિશન એક શાનદાર યુવા ખેલાડી છે. એના માટે ટીમના દરવાજા બંધ થયા નથી. ચાલુ આઈપીએલમાં ઇશાન કિશનનું પર્ફોમન્સ ખરાબ રહ્યું છે. તેણે આ સીઝનમાં કુલ 8 મેચ રમી છે. જેમાં તેણે કુલ મળીને 103 રન કર્યા છે. જોકે, તે એક પાવરફુલ બેટ્સમેનની સાથે સારો એવો ફિલ્ડર પણ છે.
તમને જણાવી દઈએ કે, આઇપીએલ 2021માં ઇશાન કિશન એક પણ હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો નથી. તેના ખરાબ ફોર્મના ચાલતા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ ઇશાન કિશન એક એવો ખેલાડી છે જેને લાંબા સમય સુધી બહાર રાખી શકાય નહીં. તે જાણે છે કે તેને ટીમમાં વાપસી કઈ રીતે કરવી.