રમિઝ રાજાના આ નિવેદનથી પાકિસ્તાનમાં ‘ભૂકંપ’, જો પાકિસ્તાન ભારતને હરાવશે તો…
સૌથી પહેલા તો ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ કરતા પાકિસ્તાને ખૂબ શાબ્દિક ઝેર ઓક્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમિઝ રાજાએ પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં આવ્યા હતા.
હાલમાં જ રમિઝ રાજાએ એક સળગતું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ભારત વિશે કહ્યું હતું. તેમણે આંતરપ્રાંતીય કોઓર્ડિનેશન પર સેનેટની સ્થાયી સમિતિ સાથે બેઠકમાં કંઈક એવું કહી દીધું કે જેને પચાવવું હવે પાકિસ્તાનીઓ માટે મુશ્કેલ બની જશે. પરંતુ આ જ સચ્ચાઈ છે.
રમિઝ રાજાએ બેઠકમાં કહ્યું કે, પીસીબીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ફંડિંગ કરતા આત્મનિર્ભર થવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ 50% આઈસીસીના ફંડિંગ પર ચાલે છે. જ્યારે આઈસીસીને 90% ફંડિંગ ભારતથી આવે છે.
તેમણે કહ્યું કે, ‘મને ડર છે કે જો ભારત આઈસીસીને ફંડિંગ કરવાનું બંધ કરી દેશે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. રમિઝ રાજાએ એક પ્રકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો બીસીસીઆઈ આઈસીસીને ફંડિંગ કરવાનું બંધ કરી દેશે તો પીસીબી રસ્તે આવી જશે.’
રમિઝ રાજાએ કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસીને ઝીરો ટકા ફંડિંગ કરે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબૂત બનાવવા માટે તે સક્ષમ છે. એક રોકાણકારનું એવું પણ કહેવું છે કે જો પાકિસ્તાન આગામી ટી20 વર્લ્ડકપ મેચમાં ભારતને હરાવશે તો પીસીબી માટે એક બ્લેંક ચેક તૈયાર મળશે.
અંતે રમિઝ રાજાએ કહ્યું કે, જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે સમૃદ્ધ હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પાકિસ્તાન ટુરને આમ રદ નો કરત. તેમણે કહ્યું કે બેસ્ટ ક્રિકેટ ટીમ બનવું અને બેસ્ટ ક્રિકેટની ઈકોનોમી ઊભી કરવી, બે અલગ અલગ વસ્તુ છે.