ત્રીજી ટેસ્ટમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય જીત હાંસલ કરી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં કારમી હાર મળી હતી. હાલમાં બંને ટીમો 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં શરૂ થશે. બંને ટીમો માટે આ મેચ નિર્ણાયક સાબિત થશે.
ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સમગ્ર સિરીઝ પર જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પરત ફરીને મોટા ફેરફારો કરીને જીત મેળવવા ઇચ્છે છે. ભારતીય ટીમે છેલ્લા ઘણા વર્ષોથી આફ્રિકા ધરતી પણ એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી. આ ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા પ્રયત્ન કરશે.
ત્રીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે કેએલ રાહુલની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે. આ બંને ખેલાડીઓએ પ્રથમ ટેસ્ટ મેચમાં સારી ભાગીદારી કરીને ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી હતી.
ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ તરફથી ચેતેશ્વર પુજારા નંબર ત્રણ પર ઉતરશે. ચેતેશ્વર પુજારા તેના અનુભવના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નંબર ચાર પર ઉતરશે તે નિશ્ચિત છે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી સદી ફટકારીને અનોખો રેકોર્ડ બનાવી શકે છે.
ત્રીજી ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે ફરી એકવાર નંબર પાંચ પર ઉતરીને પોતાનું ફોર્મ જાળવી રાખશે. છેલ્લી મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી. રહાણેનેે ફરી એકવાર તક આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી રિષભ પંતે ટીમ ઇન્ડિયા માટે મોટી ઇનિંગ રમી નથી. પરંતુ આ સમયે ભારતનો નંબર વન વિકેટકીપર બેટ્સમેન છે. તેથી છ નંબર પર પંતને સ્થાન આપવામાં આવશે.
ભારતીય સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટ મેચમાં નંબર સાત પર ઉતરીને ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. ફાસ્ટ બોલરની વાત કરીએ તો શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું સ્થાન નિશ્ચિત છે. મોહમ્મદ શમી છેલ્લી મેચમાં ઇજાગ્રસ્ત થયો હોવાથી તેના સ્થાને ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવશે.