હરભજને પસંદ કરી વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11, કોહલી કે રોહિત નહીં પરંતુ આ બે ભારતીય ખેલાડીઓને આપ્યું સ્થાન…
ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટમાંથી થોડા દિવસો પહેલા જ નિવૃત્તિ જાહેર કરી છે. 41 વર્ષના હરભજનસિંહે 17 વર્ષની ઉંમરે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી અને 23 વર્ષ બાદ તેણે ક્રિકેટને અલવિદા કહ્યું છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં હરભજન સિંહનું નામ મોખરે આવે છે.
હરભજન સિંહે વિશ્વ ક્રિકેટના એક થી એક મહાન ખેલાડીઓની પસંદગી કરીને તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન બનાવી છે. હરભજન સિંહે પોતાના સમયના મહાન ખેલાડીઓને પસંદ કર્યા છે. તેણે આ પ્લેઇંગ ઇલેવનમાં માત્ર બે ભારતીય ખેલાડીઓની પસંદગી કરી છે. તો ચાલો જોઇએ હરભજન સિંહે તેની પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
હરભજન સિંહે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન એલસ્ટેયર કૂક અને ભારતીય બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગને ઓપનર તરીકે પસંદ કર્યા છે. જ્યારે ત્રીજા નંબરે બ્રાયન લારા અને ચોથા નંબર પર સચિન તેંડુલકરને બેટિંગ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓને નંબર 3 અને નંબર 4 પર વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે.
હરભજન સિંહે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોને નંબર પાંચ પર બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે અને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હરભજને તેની પ્લેઇંગ ઇલેવનમાં ઓલરાઉન્ડરની ભૂમિકા માટે નંબર 6 પર જેક કાલિસની પસંદગી કરી છે. જેક કાલિસ દુનિયાનો સૌથી મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવે છે.
હરભજનનો સૌથી ચોંકાવનારો નિર્ણય હતો કે નંબર 7 પર મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાને વિકેટકીપિંગ માટે પસંદ કર્યો છે. હરભજનસિંહે ઝડપી બોલર તરીકે વસીમ અકરમ, ગ્લેન મેકગ્રા અને જેમ્સ એન્ડરસનની પસંદગી કરી છે. આ ત્રણેય ફાસ્ટ બોલરો તે સમયમાં સફળ વિકેટટેકર સાબિત થતા હતા.
હરભજન સિંહે તેની પ્લેઇંગ ઇલેવનમાં એકમાત્ર સ્પીનર બોલર તરીકે ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્નનો સમાવેશ કર્યો છે. હરભજને તેની પ્લેઇંગ ઇલેવનમાં વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીઁ પરંતુ વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરને સ્થાન આપ્યું છે. આ બંને ખેલાડીઓ ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા.