આ 5 કારણોને લીધે ભારત પાકિસ્તાન સામે પ્રથમ વખત વર્લ્ડકપમાં હાર્યું…

ટી 20 વર્લ્ડકપ 2021 માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત અને પાકિસ્તાનની આ મેચ પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભારત આ મેચને આસાનીથી જીતી લેશે પરંતુ પાકિસ્તાન એક તરફી મેચ જીતી પોતાની તૈયારીઓ દર્શાવી હતી.

પાકિસ્તાને આ મેચ ભારતને 10 વિકેટે હરાવી હતી. વન-ડે અને ટી 20 વર્લ્ડ કપના 29 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. મેચમાં ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને માત્ર 17.5 ઓવરમાં જ લક્ષ્યાંક હાસલ કર્યો હતો.

પાકિસ્તાન સામેની આ હારના પાંચ જવાબદારોની વાત કરીએ તો રોહિત શર્મા, કે.એલ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને સૂર્ય કુમાર યાદવ મોખરે હતા. આ પાંચેયના ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાની આ મેચને આસાનીથી જીતી લીધી હતી. તો ચાલો હારના મુખ્ય પાંચ કારણો જોઈએ કે જેને લીધે ભારત વર્લ્ડકપમાં પ્રથમ વખત પાકિસ્તાન સામે હાર્યું.

પ્રથમ કારણ :- દુબઈની પીચો પર ટોસ જીતવો જરૂરી છે. આઈપીએલમાં આપણે જોયું કે રનનો પીછો કરનારી ટીમે 77 ટકા મેચ જીતી હતી. ટોસ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો.

બીજું કારણ :- ભારતીય ઓપનર્સ ટીમને સારી શરૂઆત ના આપી શક્યા 13 બોલમાં 6 રનના સ્કોર પર બંને ઓપનર પેવેલિયન ભેગા થઇ ગયા હતા. કેએલ રાહુલ અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ સૂર્ય કુમાર યાદવ પણ માત્ર 11 રનના સ્કોર પર આઉટ થઈ જતા બોલેરો દબાણ કરતા દેખાતા હતા.

ત્રીજું કારણ :- ભારતનો પેસ એટેક ફેલ રહ્યો હતો. નવા બોલથી એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. પાકિસ્તાનના બેટ્સમેનોએ પ્રથમ 6 ઓવરમાં વિના વિકેટે 43 રન બનાવ્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પ્રથમ વિકેટ માટે અણનમ 152 રન બનાવ્યા હતા.

ચોથું કારણ :- આઈપીએલમાં યુએઇના મેદાનો પર ચક્રવર્તીએ જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે આઇપીએલ 2021 માં 18 વિકેટ ઝડપી હતી. પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં તે ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ કંઈ ખાસ બોલિંગ કરી શક્યો ન હતો. શમીએ પ્રથમ બે ઓવરમાં 19 રન આપી દીધા હતા. જ્યારે ભુવનેશ્વરે પણ પોતાની પ્રથમ બે ઓવરમાં 18 રન આપ્યા હતા.

પાંચમું કારણ :- પાકિસ્તાને શરૂઆત ધીમી કરી હતી. 8 ઓવરમાં તે માત્ર 67 રન બનાવી શક્યા હતા. રન રેટ પણ 8 થી ઉપર હતી. આ પછી પણ બોલરો પાકિસ્તાની બેટ્સમેનો પર દબાણ બનાવી શક્યા ન હતા. વરુણ ચક્રવર્તીએ તેની છેલ્લી ઓવરમાં 16 રન આપી દીધા હતા. બાબર અને રિઝવાને આ ઓવરમાં એક-એક સિક્સર ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *