પ્રથમ વન-ડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ! જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારતીય ટીમ આફ્રિકા પ્રવાસ બાદ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવા જઇ રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાશે. બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વનડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ ઉપરાંત ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે 16, 19 અને 21 ફેબ્રુઆરીના રોજ રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં આવી કંઇક હોય શકે છે ભારતીય ટીમ. તો ચાલો તેના પર નજર કરીએ.
પસંદગીકારો દ્વારા પહેલેથી જ જણાવવામાં આવ્યું છે કે કેએલ રાહુલ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ રમશે નહીં. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ અને શિખર ધવન કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં ઓપનર તરીકેની જવાબદારી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ જોવા મળશે. આ બંને ખેલાડીઓની જોડી ઘણી વખત સફળ સાબિત થઇ છે.
આ ઉપરાંત ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. ભારતીય ચાહકો કોહલીના બેટથી મોટી ઇનિંગ્સ જોવા ઇચ્છે છે. સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઇ હતી. આવી સ્થિતિમાં ચોથા નંબર પર સુર્યકુમાર યાદવને મેદાને ઉતારી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મિડલ ઓર્ડરની જવાબદારી આ ખેલાડીને સોંપશે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર 5 પર રમતો જોવા મળશે. પંતે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી છે. આ ઉપરાંત નંબર 6 પર દિપક હુડાને તક મળી શકે છે. લાંબા સમય બાદ આ ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય પીચો હંમેશા માટે સ્પિનરો માટે મદદગાર રહી છે. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને તક મળી શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરને ફાસ્ટ બોલર તરીકે સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહર પણ ફાસ્ટ બોલર તરીકે જોવા મળશે. મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઇને રમવા માટે થોડી રાહ જોવી પડી શકે છે.