અનફિટ હોવાને કારણે હવે હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડકપમાં નિભાવશે આ ભૂમિકા…
ટી-20 વર્લ્ડકપ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે પહેલા ટીમ ઇન્ડિયામાં ગઈકાલે એક બદલાવ પણ કરવામાં આવ્યો હતો. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેથી હાર્દિક પંડ્યાના બેક-અપ તરીકે ટીમને એક ઓપ્શન મળી રહે.
જોકે ટીમ ઇન્ડિયામાં એક કમી હતી. પરંતુ હવે તેનો પણ ઉકેલ આવી ગયો છે, કારણ કે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જે હેતુથી ટી-20 વર્લ્ડકપમાં સ્થાન આપવામાં આવ્યું હતું તેના પર તે ખરો નહોતો ઉતરી રહ્યો. પરંતુ હવે તેને માત્ર એમએસ ધોની વાળી ભૂમિકા આપવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાને એક બેટ્સમેન તરીકે મેચ ફિનિશરની જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે.
ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાને મેચ ફિનિશર તરીકે રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોલિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યા હજુ સુધી 100 ટકા ફીટ નથી. પરંતુ તેનો અનુભવ ટીમને કામ આવી શકે છે. હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે જે એક ઓવરમાં મેચને પલટી શકે છે.
ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમજ રિઝર્વ પ્લેયર તરીકે શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને દીપક ચાહરની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે યુએઈમાં જ રહેશે.
ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રી અને માર્ગદર્શક તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે.