મોટો ખુલાસો : ગાડી 90ની સ્પીડે આવતી હતી, 8 થી 10 ફૂટ ઊછળીને બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી – ST ડ્રાઈવર
ગઇકાલે બપોરે રાજકોટના કાલાવડ રોડ પર વડવાજડી ગામ નજીક ST બસ અને મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં રાજકોટની હોમિયોપેથી કોલેજના ચાર વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં. ST બસના ડ્રાઈવરનું કહેવું છે કે, 90 કરતા પણ વધારે સ્પીડે આવતી કાર ડિવાઇડર કૂદી રોડની બીજી તરફ રોકેટની જેમ આવી એસટી બસ સાથે અથડાઇ હતી.
ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાડી 8થી 10 ફૂટ ઊછળી હતી. તેણે કહ્યું કે, જો મેં બ્રેક ન મારી હોત તો કદાચ આ કાર બસની અંદર ઘૂસી જાત. ST બસ અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં હોમિયોપેથી કોલેજના ચાર વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા.
એસટી બસના કંડકટરે કહ્યું કે, હું છેલ્લાં 27 વર્ષથી એસટી બસમાં કંડકટર તરીકેની નોકરી કરું છું. મેં આ સમય દરમિયાન નાનું જીવડું પણ માર્યું નથી. ત્યારે આવડા મોટા અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓનો જીવ જતા ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે. હજી પણ એ દ્રશ્યો ભુલાતા નથી. માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે રજા પર ઊતરી ગામડે આવી ગયો છું.
રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના 15 વિદ્યાર્થી પોતપોતાના વાહનોમાં ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ લેવા માટે ગયા હતા. આરોગ્ય કેન્દ્ર અને ગ્રામપંચાયતની મુલાકાત લઇ બપોરના સમયે વિદ્યાર્થીઓ પરત રાજકોટ આવવા નીકળ્યા હતા.
આ સમયે હોમિયોપેથીના વિદ્યાર્થીઓ નિશાંત નીતિનભાઇ દાવડા, આદર્શભારથી પ્રવીણભારથી ગોસ્વામી, સીમરન ગીલાણી, કૃપાલી ચેતનભાઇ ગજ્જર અને ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરિયા આદર્શભારથીની કારમાં બેસી રાજકોટ કોલેજે પરત આવવા નીકળ્યા હતા. આદર્શ ગોસ્વામીની કાર તેનો સાથી વિદ્યાર્થી નિશાંત દાવડા ચલાવતો હતો.
વાજડી ગામ પાસે પહોંચતા કારચાલક નિશાંત દાવડાએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇર સાથે અથડાઇને હવામાં ઊલળીને સામેના રસ્તા પર ફંગોળાઇ હતી. રાજકોટથી કાલાવડ તરફ જઈ રહેલી એસટી બસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારનો કડૂસલો બોલી ગયો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. કારચાલક નિશાંત દાવડા અને આદર્શભારથીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ઘવાયેલા અન્ય ત્રણને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ફોરમ ધ્રાંગધરિયા અને સીમરન ગિલાણીએ પણ દમ તોડી દીધો હતો, જ્યારે કૃપાલી ગજ્જરની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.